



બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા પણ પૂર્ણતાના આરે છે ત્યારે અંદાજે ૧૪.૯ર લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની ફાઇનલ પરીક્ષાની તૈયારીઓ પુરજોશથી કરી રહ્યા છે, જેને લઈ ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.
ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ-વાલીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરઃ ૧૮૦૦ર૩૩પપ૦૦ ૧૪ માર્ચથી ૧ર એપ્રિલ સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સ્પર્ટ કાઉન્સેલર અને સાઈકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સવારના ૧૦થી સાંજના ૬.૩૦ વાગ્યા સુધી હેલ્પલાઇન નંબર ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન માર્ગદર્શન મેળવી શકશે.
અંદાજિત કેટલા વિદ્યાર્થીઑ પરીક્ષા આપશે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોરણ-૧૦માં અદાજિત ૯.૭૦ લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં કુલ ૪ લાખ રર હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું જાણવા મળે છે, જ્યારે ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે. ઓમિક્રોનના કેસમાં ઉછાળો આવતાં પરીક્ષા પાછી ઠેલાઈ હતી.