



રાજકોટ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અરવિંદભાઈને મંત્રી પદ મળતા સામાકાંઠે જાણે દિવાળી આવી હોય તેવો જલ્સો જોવા મળ્યો હતો. સમર્થકોએ મીઠાઈ ખવડાવી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. સાથે સાથે મીઠાઈની પણ વહેંચણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડી જશ્ન ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ ટર્મમાં મંત્રી બનતા અરવિંદભાઈ લોટરી લાગી છે. પક્ષ પ્રત્યેની નિસ્વાર્થ નિષ્ઠા અને લોક સમસ્યા હલ કરવા માટે સતત જાગૃતતાના કારણે તેઓને રાજ્ય સરકાર દ્વારા મંત્રી બનાવવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. 2010થી 2020 સુધી સતત બે ટર્મ નગર સેવક તરીકે અરવિંદભાઈ રૈયાણીએ પ્રજાના કામો કરવામાં પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દીધી હતી. લોકસેવા કરવાનો ઉત્સાહ અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા જોતા તેઓને વર્ષ 2017માં રાજકોટ પૂર્વ બેઠક પરથી વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી. તેઓએ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં સફળ રહ્યાં હતા અને તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા. ચાર વર્ષથી ધારાસભ્ય તરીકે તેઓ સતત લોકોની વચ્ચે રહી કામ કરી રહ્યાં છે. કોરોના કાળમાં પણ લોકોને ઓક્સિજન પૂરો પાડવા, દવા પૂરી પાડવા, રાશન પૂરું પાડવા સહિતની અનેક સેવા કરી હતી. કોર્પોરેટર અને ધારાસભ્ય એમ બન્ને જવાબદારી હોવા છતાં તેઓએ સતત ત્રણ વર્ષ સુધી બખુબી આ જવાબદારી નિભાવી હતી. જેની નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં તેઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: MLA Arvindbhai Raiani wins lottery