



ઇલેક્ટ્રિક બસને ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવનાર છે. જોકે એસ ટી નિગમ દ્વારા ત્યાર બાદ અમદાવાદ-બરોડા અને અમદાવાથી રાજકોટ ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. ગાંધીનગરને હરિયાળું શહેર બનાવવાની સાથે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં ઇલેક્ટ્રિક બસો 3 તબક્કામાં દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમાં પ્રથમ તબક્કામાં ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેને પરિણામે એસ ટી નિગમ દ્વારા વર્ષ 2021-22ના નાણાકીય વર્ષના બજેટમાં તેના માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. જોકે કોરોનાની મહામારીને પગલે ઇલેક્ટ્રિક બસો દોડાવવાની યોજના આઠેક માસ જેટલી મોડી શરૂ થઈ છે પરંતુ આગામી ડિસેમ્બર, 2021 માસમાં ગાંધીનગર ડેપોને 20 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવનારી હોવાનું એસ ટી નિગમના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.
વધુમાં વધુ 30 ઇલેક્ટ્રિક બસો ફાળવાય તેવી શક્યતા
એસ ટી નિગમના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ડેપોને ડિસેમ્બર સુધી 20 અથવા વધુમાં વધુ 30 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવનાર છે. આ બસો અમદાવાદ ડિવિઝનમાં આપવાની હોવાથી તેનો લાભ ગાંધીનગર ડેપોને મળશે.
બસ 3 કલાકમાં ચાર્જ થશે અને 200 કિમી સુધીનું અંતર કાપશે
ઇલેક્ટ્રિક બસને ચાર્જ કર્યા બાદ તે 200થી 220 કિમી સુધી ચાલશે. જોકે બસ બેટરીથી ચાલતી હોવાથી તેમાં 180 કિલો વોટની લિથીયમ પ્રકારની બેટરીની સુવિધા ઇલેક્ટ્રિક બસમાં છે. આથી એક બસને ફાસ્ટ ચાર્જિંગ ત્રણ કલાક જેટલો સમય લાગતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
એક બસની કિંમત રૂપિયા 1.30 કરોડ
નગરના ડેપોને ફાળવવામાં આવનાર ઇલેક્ટ્રિક બસથી પ્રદૂષણ થતું અટકાવશે પરંતુ એક બસની કિંમત રૂપિયા 1.30 કરોડની છે. ઉપરાંત ઇલેક્ટ્રિક બસમાં ભાડાના દરમાં વધારો કરવો કે નહી તે અંગે એસ ટી નિગમ દ્વારા આગામી સમયમાં નિર્ણય લેશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Gandhinagar ST Depot will be allotted 20 electric buses by December