



રાજકોટમાં ગત વર્ષના બ્રેક પછી આ વર્ષે ગણેશ સ્થાપનની સરકારે અને તેના પગલે પોલીસ કમિશનરના જાહેરનામામાં શરતોને આધીન મંજુરી અપાઈ છે અને ગુરૂવાર તા.૯થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન રાત્રિ કર્ફ્યુમાં રાહત આપી હાલ રાત્રિના ૧૧ને બદલે રાત્રે ૧૨વાગ્યાથી શરૂ થશે ત્યારે સ્વચ્છતા, ટ્રાફિક, મંડપ વગેરે મુદ્દે આજે આયોજકો સાથે મ્યુનિ.કમિશનરની બેઠક યોજાઈ હતી.
આયોજકોને મનપા દ્વારા મનપાની માલિકીના રસ્તા, ચોક વગેરે સ્થળે નિયમોને આધીન મંજુરી અપાશે જે પૂર્વે આજે તમામ આયોજકોને મંડપ રોપવા માટે રસ્તો નહીં ખોદવા ભારપૂર્વક જણાવાયું છે. ઉપરાંત ગણેશ સ્થાપનના સ્થળ આસપાસ સઘન સ્વચ્છતા રહે, ડસ્ટબીન પર્યાપ્ત માત્રામાં રહે તેવી અપીલ સાથે મનપા આ સ્થળેથી નિયમિત કચરો ઉપાડશે તેવી ખાત્રી પણ આપી હતી. કમિશનરે જણાવ્યું કે હાલ વરસાદી હવામાનને ધ્યાને લઈને મંડપની મજબૂતી, વોટરપ્રૂફીંગ વગેરે જળવાય તે પણ જરૂરી છે.
પોલીસ કમિશનરે ગણેશોત્સવ માટે જારી કરેલા નિયમો અનુસાર (૧) જાહેરમાં સ્થાપિત પ્રતિમા મહત્તમ ૪ ફૂટની, ઘરમાં ૨ ફૂટની હોવી જોઈએ. (૨) ગણેશોત્સવના મંડપ,પંડાલ નાના કદના રાખવાના રહેશે (૩) આ સ્થળે આરતી, પ્રસાદ વિતરણ થઈ શકશે પણ કોઈ કાર્યક્રમો યોજી શકાશે નહીં. (૪) ગણેશ વિસર્જન યાત્રામાં મહત્તમ ૧૫ વ્યક્તિઓ જ જોડાઈ શકશે.
બીજી તરફ, શહેરમાં મોટાભાગના લોકો પરિવાર સાથે ઘરે જ ગણપતિ સ્થાપન કરીને ઉત્સવ ઉજવવા તૈયારી કરી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Sanctioned subject to Ganesh installation conditions