



આઇ.બી.એમ અમદાવાદમાં અત્યાધુનિક સોફટવેર લેબની સ્થાપના કરશે. આ લેબ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તરીકે અદ્યતન સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે આઇ.બી.એમ-ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટર શ્રી સંદિપપટેલ અને આઇ.બી.એમ. સોફટવેર લેબના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્માની ગાંધીનગરમાં યોજાયેલી ફળદાયી મૂલાકાત બેઠક દરમ્યાન તેમણે આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આઇ.બી.એમ.ના આ સેન્ટરની જાહેરાતને આવકારતાં જણાવ્યું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી હતા ત્યારથી જ પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે એફ.ડી.આઇ અને આઇ.ટી સેકટર સહિતના ટેકનોલોજી સેકટરના ઇન્વેસ્ટમેન્ટ માટે એક હેલ્ધી અને ફ્રેન્ડલી વાતાવરણ બન્યું છે.
એટલું જ નહિ, ગુજરાતમાં સેકટરલ યુનિવર્સિટીઝની શરૂઆત તથા આઇક્રિયેટ, સ્ટાર્ટઅપ ઇનોવેશનનો વ્યાપ પણ વધ્યો છે અને યુવાઓને અદ્યતન જ્ઞાન-સંશોધન અવસર મળી રહ્યા છે. વિજયભાઇ રૂપાણીએ આઇ.બી.એમ.ના એમ.ડી.ને એમ પણ જણાવ્યું કે, આ બધાના પરિણામે ગુજરાતમાં સ્કીલ્ડ મેનપાવર અને વિપૂલ ટેલેન્ટપૂલ ઉપલબ્ધ છે તેનો લાભ આઇ.બી.એમ. ને મળશે. તેમણે કહ્યું કે, ગુજરાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને સાકાર કરવામાં જે લીડ લીધી છે તેમાં આઇ.બી.એમ.નું આ નવું કાર્યરત થનારૂં સેન્ટર રાજ્યમાં આઇ.ટી, આઇ.ટી.ઇ.એસ સેકટરની સમગ્ર ઇકો સિસ્ટમની કાયાપલટ કરવામાં મહત્વપૂર્ણ બનશે.
આ સેન્ટર રાજ્યના યુવાઓ માટે નવા રોજગાર અવસર ઊભા કરશે અને ડિઝીટલ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વ કક્ષાના કૌશલ્યવર્ધન ક્ષમતાનો પણ રાજ્યમાં વિકાસ થશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. આઇ.બી.એમ-ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટર શ્રી સંદિપ પટેલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે આઇ.ટી હબ બનવાની જે દિશા લીધી છે તેની પ્રસંશા કરી હતી. ગુજરાત ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના નવતર અભિગમ સાથે વિકાસના નવા કિર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે તે સંજોગોમાં આઇ.બી.એમ ગુજરાતના ડિઝીટલ મિશનમાં યોગદાન આપવા ઉત્સુકતા છે એમ પણ શ્રી સંદિપ પટેલે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથેની આ બેઠકમાં આઇ.બી.એમ ઇન્ડીયાના એમ.ડી શ્રી સંદિપ પટેલે જણાવ્યું હતું કે આઇ.બી.એમ. સોફટવેર લેબ વૈશ્વિક કક્ષાના ઇનોવેશન સેન્ટર તરીકે નેકસ્ટ જનરેશન સોફટવેર પોર્ટફોલિયો અને કલાઉડ સર્વિસ પૂરી પાડે છે. આવી સોફટવેર લેબ બેંગાલુરૂ, પૂના, હૈદરાબાદ અને ચેન્નાઇમાં અત્યારે કાર્યરત છે હવે, અમદાવાદમાં પણ તે સ્થાપવાનું આયોજન આઇ.બી.એમ દ્વારા કરવામાં આવ્યું છે.
પ્રોડકટ એન્જીનીયરીંગ અને સોફટવેર મેન્યૂફેકચરીંગ સેકટરની વર્લ્ડ બેસ્ટ પ્રેકટીસીસ ગુજરાતમાં લાવવાની નેમ આઇ.બી.એમઇન્ડીયાના એમ.ડી એ દર્શાવી હતી. વર્લ્ડ કલાસ ટ્રેઇન્ડ મેનપાવર અને સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર અવસરમાં વધારો એમ બેવડો લાભ આના પરિણામે ગુજરાતને મળતો થશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
IBM Will set up a software lab in Ahmedabad