



ચોમાસુ હવે તેના અંતિમ માસમાં પહોંચવાના આરે છે અને ગુજરાત જેવા અર્ધોડઝન રાજયોમાં પર્યાપ્ત વરસાદના વાંકે કૃષિ પાક પર સંકટ સર્જાયુ છે ત્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચિંતાભરી આગાહી કરી છે. ચાલુ વર્ષના ચોમાસાનો વરસાદ નોર્મલથી ઓછો રહેવાની આગાહી કરી છે. ગુજરાત અને પશ્ચીમ રાજસ્થાનમાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાની પણ દહેશત વ્યક્ત કરી છે.
ચોમાસા પુર્વે ગત એપ્રિલમાં વરસાદ નોર્મલ અને સરેરાશથી 123 ટકા રહેવાની આગાહી કરનાર ખાનગી હવામાન એજન્સીએ હવે તેમાં બદલાવ કરવા સાથે ચોમાસુ નબળુ રહેવાની અને વરસાદ સરેરાશથી ઓછો થવાનો રીપોર્ટ જારી કર્યો છે. ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિની શંકા દર્શાવી છે અને તેને કારણે મગફળી તથા કપાસના ઉત્પાદનને મોટો ફટકો પડવાની ભીતિ છે. સ્કાયમેટના રીપોર્ટ પ્રમાણે દેશમાં ચોમાસાનો સરેરાશ વરસાદ નોર્મલ કરતા 94 ટકા રહી શકે છે તેમાં ચાર ટકાનો તફાવત આવી શકે છે. સામાન્ય રીતે જુનથી સપ્ટેમ્બરના ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 880.6 મી.મી. વરસાદ થતો હોય છે.
દેશમાં મોટાભાગના ક્ષેત્રોમાં પરીસ્થિતિ નબળી છે. વરસાદ માટે સાનુકુળ નથી. મધ્ય ઓગષ્ટ સુધી દેશની વરસાદની ખાધ 9 ટકા હતી અને હજુ તેમાં કોઈ સુધારો નથી. ગુજરાત, રાજસ્થાન, ઓડીસા, કેરળ તથા પુર્વોતર રાજયોમાં ચોમાસાનો વરસાદ ઓછા રહી શકે છે. ભારતમાં ચોમાસાની શરુઆત અગાઉ વાવાઝોડા ત્રાટકયા હતા. જૂનમાં વરસાદ સરેરાશથી વધુ હતો. પરંતુ જુલાઈમાં ચોમાસુ સ્થગીત થઈ ગયુ હતું. ત્યારબાદ ફરી ઓગષ્ટના પ્રથમ પખવાડીયામાં ચોમાસુ સ્થગીત થયુ હતું. અલ નીનોની જેમ ઈન્ડીયન નીનોના પ્રભાવથી આ સ્થિતિ ઉદભવી હતી. સપ્ટેમ્બરમાં પણ તે પ્રભાવિત કરશે કે કેમ તેને કોઈ સંકેત નથી.
દરમ્યાન નોર્મલ કરતા ઓછા વરસાદને કારણે ખરીફ કૃષિપાકને ફટકો પડી શકે છે. ખાસ કરીને તેલીબીયાને મોટુ નુકશાન થાય તેમ છે. એક વર્ગ, જો કે, એવો મત દર્શાવે છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં વાવેતર થઈ ચુકયુ છે. ગત વર્ષ જેટલુ જ વાવેતર થયુ છે. તેલીબીયા સિવાયના પાકોને ખાસ વાંધો આવે તેમ નથી. જળાશયોના પાણી હવે મહત્વના બનશે તેનું જળસ્તર નીચુ જાય તો રવિ વાવેતર પર સંકેત સર્જાશે. તેલીબીયાને ફટકો પડવાના સંજોગોમાં ભાવો પણ વધી શકે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The crookedness of the rains has created a crisis on agricultural crops