



રાજકોટમાં આવકવેરા ખાતુ તુટી પડયુ હોય તેમ બે જાણીતા બિલ્ડર ગુ્રપના 35થી વધુ સ્થળોએ એકસામટા દરોડા પાડવામાં આવતા ખળભળાટ સર્જાયો છે. એક ફાઇનાન્સર ગ્રુપ પણ નિશાન પર હોવાની ચર્ચા વચ્ચે બિલ્ડર-ફાઇનાન્સર લોબીમાં ફફડાટ સર્જાયો છે. આવકવેરા ખાતાના ટોપ લેવલના સુત્રોએ કહ્યું છે કે વ્હેલી સવારથી ઇન્કમટેકસ ઓફિસરોના કાફલાએ રાજકોટમાં એક સાથે 40થી વધુ સ્થળોએ મેગા દરોડા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વ્હેલી સવારે 6 વાગ્યામાં જ એક પછી એક સ્થળોને ઝપટે લેવામાં આવ્યા હતા.રાજકોટના બિલ્ડર એવા આર.કે.ગ્રુપના સર્વાનંદભાઇ સોનવાણી ઉપરાંત જગદીશભાઇ, કમલભાઇ, ભરતભાઇના સિલ્વર હાઇટસ ખાતેના નિવાસસ્થાનોએ દરોડા પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત દોઢસો ફુટ રોડ પર આર.કે.પ્રાઇમ બિલ્ડીંગમાં આવેલી ઓફિસને પણ નિશાન બનાવવામાં આવી હતી. આર.કે.ગ્રુપ સાથે કનેકશન ધરાવતા કોન્ટ્રાકટરો રમેશ પાંચાણીના સિલ્વર સ્ટોન વિસ્તારમાં આવેલા નિવાસસ્થાન તથા આશિષ ટાંકના નિવાસ ઉપરાંત રાજનગર ચોકમાં આવેલી ઓફિસે પણ દરોડા-સર્વે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટ્રીનીટી ગ્રુપના ભાગીદારો પર પણ મોટા પાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતૂં. જનતા તથા જનકલ્યાણ સોસાયટીમાં આવેલા પ્રફુલ ગંગદેવના નિવાસસ્થાન ઉપરાંત કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક આવેલી ઓફિસર ખાતે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય તેમના ભાગીદારો કિંજલ ફળદુના સાંઇનગર ખાતેના નિવાસસ્થાન તથા નિર્મલા રોડ પરના ચંદ્રેશ પનારા (શંભુ)ના રહેઠાણ, ગૌરાંગ પટેલના રહેઠાણ પર દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. એવી માહિતી સાંપડી છે કે રાજકોટના ટોચના ફાઇનાન્સરના સમગ્ર હિસાબ કિતાબ રાખતા બે મુખ્ય કર્મચારીઓના નિવાસે પણ દરોડા પાડવામાં આવ્યા છે તેના આધારે ફાઇનાન્સર પણ ઝપટે ચડી શકે છે. આ ફાઇનાન્સર પર ત્રણ ચાર વર્ષ પૂર્વે પણ મોટાપાયે દરોડા પાડયા હતા.બિલ્ડર ગ્રુપ પરના દરોડાના કનેકશનમાં ગોંડલના હડમતાળા સ્થિત ગ્રેનાઇટ કારખાનામાં થતા સર્ચ સર્વે કાર્યવાહી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગની આ મેગા દરોડા કાર્યવાહીમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરાના અધિકારીઓનો કાફલો પણ જોડાયો હતો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: R.K. And raids at 40 locations, including Trinity Builder and a top financier