



તહેવારોની સિઝનમાં તો ફરવાલાયક સ્થળોએ ગુજરાતીઓનો ધસારો જોવા મળતો હોય છે. જો કે, કોરોનાને કારણે ફરવા જવા માટે લોકોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો પણ હવે સ્થિતિ ફરી અનુકુળ થઈ રહી હોવાથી ગુજરાતીઓ ધીમે-ધીમે પ્રવાસનાં આયોજનો કરી રહ્યાં છે. સહેલાણીઓ માટેનાં ફેવરીટ સ્થળો તેમાં પણ ખાસ કરીને નજીકનાં સ્થળોએ લોકો ધડાધડ બુકીંગ કરાવી રહ્યાં છે.
હાલ કોરોનાનાં કેસ નહિવત હોવાથી લોકો જન્માષ્ટમીનાં તહેવારોમાં અવનવા સ્થળોએ જઈને રજાઓ ગાળવાનું પ્લાનીંગ કરી રહ્યાં છે ત્યારે ટુર-ઓપરેટરોની ઓફિસોમાં પણ રોનક જોવા મળી રહી છે. કોરોનાને કારણે ઘરમાંને ઘરમાં કેદ થઈ ગયેલા લોકો હવે રિફ્રેશમેન્ટ મેળવવાનાં અવનવા રસ્તાઓ શોધી રહ્યાં છે ત્યારે ગુજરાતનાં ફરવાલાયક સ્થળો ધીમે ધીમે હાઉસફુલ થઈ રહ્યાં છે. પહેલાંની તુલનાએ હાલ 50% જેટલું બુકીંગ વધ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉપરાંત રાજસ્થાન, ગોવા સહિતનાં સ્થળોએ ફરવા જવાનો ક્રેઝ પણ વધ્યો છે ત્યારે ટ્રાવેલ સંચાલકો પણ રસીકરણ તેમજ કોવિડ પ્રોટોકોલનો પાલન સાથે જ લોકોને મુસાફરી કરવાનો આગ્રહ રાખી રહ્યાં છે.તહેવારોમાં હરવા-ફરવાનાં શોખીન એવા ગુજરાતીઓ કોરોનાને કારણે ગયા વર્ષે ઘરમાં જ તહેવારો ઉજવવા મજબૂર બન્યા હતાં. જો કે આ વર્ષે સ્થિતિ સામાન્ય થતાં લોકો ફરવા જવા માટે બહાર નીકળી રહ્યાં છે
ત્યારે મંદીનો માર સહેનારા હોટેલ, ટેકસી, એરલાઈન્સ સહિતનાં ક્ષેત્રોમાં ભાવવધારો જોવા મળ્યો છે. જન્માષ્ટમીમાં તો ટુર પેકેજમાં 25% જેટલો જ ભાવવધારો નોંધાયો છે પરંતુ ટુર સંચાલકોનું માનવું છે કે દિવાળીનાં ટુર પેકેજોમાં તોતીંગ ભાવવધારો થશે. કોરોનાને કારણે બે વર્ષથી બંધ એવા હોટેલોમાં હવે રોનક પાછી ફરી છે ત્યારે દિવાળીમાં ફરવા જવા ઈચ્છતાં લોકોનાં ખિસ્સા પર વધુ ભાર પડશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Places to visit during the Janmashtami holidays are getting housefull