



અફઘાનીસ્તાનમાં તાલીબાની શાસન ભારત માટે સંકટ સર્જી શકે તેમ હોવાના તારણે વચ્ચે હવે તેનાં આધારીત પાકિસ્તાની પડકાર પણ ઉભો થઈ રહ્યાનાં એંધાણ છે. ભારતને નિશાન બનાવવાનાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી પ્રશિક્ષણ કેન્દ્રો હવે આતંકી સંગઠનો અફઘાનીસ્તાનમાં ખસેડવા લાગ્યા છે.
ત્રાસવાદીઓને પાકિસ્તાન મદદ કરી રહ્યાનું ખુલ્લુ પડી જ રહ્યું છે અને તેના કારણે ફાયનાન્સીયલ એકશન ટાસ્કફોર્સનાં નિયંત્રણો લાગુ થવાનું જોખમ ઉભુ જ છે ત્યારે તેનાથી બચવા માટે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી કેમ્પોનું હવે અફઘાનીસ્તાનમાં સ્થળાંતર થવા લાગ્યુ છે. અફઘાનનાં પૂર્વ અને દક્ષિણ પ્રાંતમાં તે ખસેડવામાં આવી રહ્યા છે. લશ્કર-એ-તોયબાના પ્રશિક્ષણ કેમ્પ અફઘાનનાં પૂર્વ ભાગો તથા જૈશ-એ-મોહમ્મદનાં કેમ્પ દક્ષિણના ભાગોમાં ખસેડવામાં આવ્યા છે.
તેમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ મોટોભાગ ભજવી રહી છે. તાલીબાન-હકાની નેટવર્કનું સંકલન કરી રહી છે. સુત્રોના કહેવા પ્રમાણે ત્રાસવાદીઓને સહાય કરતુ હોવાના આરોપથી છટકવા પાકિસ્તાન આ કાર્યવાહી કરી રહ્યું છે.જૈશ-એ-મોહમ્મદે તો પોતાના કમાંડર તથા પ્રશિક્ષિત લડાકુઓને અફઘાનીસ્તાન પણ મોકલ્યા છે. પેશાવરમાં નિયમીત તાલીમ કેમ્પ કરવામાં આવી રહ્યા છે. તાલીબાનનાં કેટલાંક કમાંડર જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે.
સુત્રોએ એમ પણ કહ્યું છે કે તાલીબાનોનાં હાથમાં આવેલા હથીયારો તોઈબા તથા જૈશ જેવા સંગઠનને પણ આપવામાં આવી રહ્યા છે. આઈએસઆઈની સુરક્ષા ષડયંત્ર મુજબ ભારતીય સૈન્યને ટારગેટ કરવાનું કાવતરૂ છે. ગુપ્તચર રીપોર્ટ પ્રમાણે પાક કબ્જાવાળા કાશ્મીરમાં ત્રાસવાદીઓની સંખ્યા વધી રહી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Pakistan starts relocating terror camps to Afghanistan: to target India