



ભાજપ સરકાર દ્વારા આજે રાજ્યમાં સંવેદના દિવસની ઉજવણી કરાઈ રહી છે, જેની સામે કોંગ્રેસ દ્વારા “આરોગ્ય બચાવ અભિયાન”હેઠળ રાજ્યભરમાં સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં સુરત, રાજકોટ, વડોદરા, ભરુચ, વલસાડ, ભાવનગર તથા અમરેલી સહિતના શહેરોમાં સતત બીજા દિવસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ તથા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.વિજય રૂપાણીનો જન્મ દિવસ હોવાથી આજે તેઓ પોતાના હોમટાઉન રાજકોટમાં છે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારે ભાજપના સંવેદના દિવસ સામે આજે કોંગ્રેસે સિવિલ હોસ્પિટલના સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ઓક્સિજનના બાટલા સાથે પહોંચ્યા હતા અને આરોગ્ય બચાવો તથા હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પહેલેથી જ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત તમામ કાર્યકરની અટકાયત કરી હતી.