



વસતિ નિયંત્રણ બાબતે ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને જરૂરી લાગશે તો યુપી સરકારની જેમ વિધાનસભામાં ખાસ બિલ લાવવામાં આવશે. ગાંધીનગર ખાતે મહારાષ્ટ્ર ભવનના લોકાર્પણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વસતિ નિયંત્રણ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત સરકાર આ અંગે અભ્યાસ કરી રહી છે. દેશની અલગ-અલગ સરકારો દ્વારા રાજ્યોમાં જુદી જુદી રીતે વસતિ નિયંત્રણ માટે કવાયત હાથ ધરી છે, ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યમાં વસતિ નિયંત્રણ માટે અભ્યાસ કરશે. જોકે આ કામગીરી અંતર્ગત કેટલાક સમયથી સરકાર દ્વારા આરોગ્ય વિભાગની સાથે કેટલીક કામગીરી કરવામાં આવી રહી હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું.ગુજરાતમાં ઘણાં વર્ષ પહેલાં વસતિ નિયંત્રણ બાબતે શરૂઆત થઈ છે. ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે વસતિ નિયંત્રણ માટેના કાયદાનો મુસદ્દો જાહેર કરવાની સાથે જ ગુજરાત સરકારે પણ યુપીના ધોરણે કાયદો ઘડવા ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રત્યાઘાતો-પરિણામોનો અભ્યાસ શરૂ કર્યો છે. મહત્ત્વની બાબત એ છે કે યુપી તથા ગુજરાત એમ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે અને આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.