



જે મનુષ્ય આખી જિંદગી નીરોગી રહી શકે જેને ડોકટરની કે દવાની જરૂર ન પડે તે આજના સમયમાં ભાગ્યશાળી ગણાય. કોઇ ઔષધ રોગને નિર્મૂળ કરી શકતું નથી. આ તાકાત તો ફકત શરીરની જીવનશકિત જ ધરાવે છે. દર્દીએ અકસીર અને રામબાણ પ્રાણરક્ષક ગણાતી દવા લીધા છતાં તે શામાટે સાજો થતો નથી ? અને તે શા માટે મોતને શરણ થાય છે ? રોગ મટે છે તે ફકત દવાની અસરકારકતાને લીધે નહીં પરંતુ માનવની જીવન શકિત તેમજ તેના શરીરમાં રહેલી રોગપ્રતિકારક શકિતને લીધે. માનવી માંદો પડે છે ત્યારે તે મુર્ખ બની જતો નથી પણ દવા, ઇન્જેકશન, ઓપરેશન વગેરે આધુનિક સારવારના નામે માનવીને મૂર્ખ બનાવવામાં આવી રહ્યો છે. પ્રચારતંત્રે માનવીના વિચારતંત્રને ભ્રષ્ટ કરી બૂઠું બનાવી દીધું છે.
માંદગી આવે છે ત્યારે માનવી વિચાર કરવા થોભતો નથી. એની માંદગીનું કારણ શું છે ? એ જાણ્યા વગર એ તો તરત જ સ્પેશ્યાલિસ્ટ ડોકટર પાસે પહોંચી જાય છે. પરંતુ કુદરતના કયા નિયમોનો ભંગ થ્ાથી આ માંદગી આવે છે એનો કોઇ વિચાર કરતા નથી. ઠાંસી ઠાંસીને ખાનાર અને પછી મંદાગ્નિથીપીડાતા દર્દીઓને ડોકટર ખોરાક પચે તેવી દવા આપશે બેઠાડું જીવન ગાળવાવાળા મેદવૃધ્ધિનો ભોગ બની ડોકટર પાસે જશે. ડોકટર તેને દવા આપશે છતાં છેલ્લે મેદ ઓછો થશે નહીં. કબજિયાત જેવા સામાન્ય રોગો પણ દવાથી મટતા નથી. રેચની ગોળી લેવાથી ઝાડો થશે. ફરીથી કબજિયાત માટે બે ગોળી લેવી પડશે. એ પ્રમાણે દવાના ડોઝનું પ્રમાણ વધશે.
શરીર દવા લેવાની આદતવાળું બનતું જશે. મોટા ભાગની બીમારીઓ અયોગ્ય આહારવિહારથી જ આવે છે. માટે તેના પ્રાયશ્ર્ચિત રૂપે લાંધન ઉપવાસ કરો. થોડા દિવસ માત્ર પ્રવાહી ખોરાક પર રહો. પ્રકૃતિ પ્રેમાળ માતા જેવી છે. પરંતુ તેના નીતિનિયમોનો ભંગ કરનારને તે દર્દ મોકલી સજા કરે છે.
આપણે જે ખાઇએ છીએ તેના ત્રીજા ભાગ ઉપર જીવીએ છીએ. બાકીના બે ભાગ ઉપર ડોકટરો જીવે છે. તદઉપરાંત જેના વિશેે કશું સમજતા નથી એવા મનુષ્યના શરીરમાં એવી દવા
દાખલ કરીએ છીએ કે જેના વિશે ડોકટરને કંઇ જ્ઞાન નથી.