



વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું હતું આ લૉક ડાઉન દરમિયાન સ્થળાતર કરતા શ્રમિકો સામે નિયમોના ભંગ બદલ દાખલ થયેલા કેસો પૈકી ૫૧૫ કેસો પરત ખેચવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંપર્ણ સંવેદના સાથે શ્રમિકોને સહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉનનો હિંમતભર્યો નિર્ણય કર્યો હતો તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ નિયંત્રણો લાદવામા આવ્યા હતા જેના પરિણામે કોરોનાના પ્રથમ તબક્કામા સંક્રમણને રોકવામાં સફળતા મળી હતી. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત એ ઔદ્યોગિક રાજય છે ત્યારે દેશભરમાંથી રોજગારી માટે લાખો પરપ્રાંતિય શ્રમિકો ગુજરાત આવે છે. આ લૉકડાઉન દરમિયાન પરપ્રાંતિય શ્રમિકોને તેમના માદરે વતન જવા માટે પણ રાજય સરકારે કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને ખાસ ૧૦૦૦ થી વધુ શ્રમિક ટ્રેનો અને અન્ય પરિવહનના માધ્યમથી મળી અંદાજીત ૨૪ લાખ જેટલા શ્રમિકોને તેમને વતન મોકલ્યાં હતાં. એટલુ જ નહી, શ્રમિકોને ભોજન માટે વિના મૂલ્યે રાશન પણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન નિયમોના ભંગ બદલ જે કેસો થયા હતા તે આજે પરત ખેચવાનો નિર્ણય કરીને શ્રમિકો પ્રત્યેની સંવેદના દાખવી માનવીય ઉમદા કામ અમારી સરકારે કર્યુ છે, તેમ પણ પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, આ ૫૧૫ કેસો હાલની સ્થિતિએ પરત ખેંચવાથી શ્રમિકોને રાહત થશે અને કાયદાકીય કામગીરીમાં પણ રાહત થશે. તેમણે ઉમેર્યુ કે આ ૫૧૫ કેસો પરત ખેંચવા માટે જરૂરી પ્રક્રિયા કરવા સારૂ સંબંધીત પબ્લીક પ્રોસિક્યુટરને જિલ્લા મેજીસ્ટ્રેટ મારફતે જરૂરી સૂચના આપવામાં આવશે